1,641 Total Views
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 17મી જાન્યુઆરી સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી ગુજરાત ના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે. અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેન માં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. તેને વિશેષ રૂપથી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની યાત્રાને સુંદર અને યાદગાર બનાવવા માટે બનાવવામાં આવ્યો છે.
કોવિડ બાદ આ પ્રથમ તક હશે જ્યારે કોઈ પેસેન્જર ટ્રેનને લોન્ચ કરવામાં આવશે. આ એક્સપ્રેસ ટ્રેન સેવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, નિયમિત રેલ સેવાથી પર્યટન સ્થળ પર વધુ પ્રવાસીઓ આવશે. રેલ મંત્રાલયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે કેવડિયા રેલવે સ્ટેશન બનાવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ રવિવારે પીએમ મોદી કરશે.
અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત પહેલાં મહત્વના ત્રણ પ્રોજેક્ટનું ત્રણ અલગ અલગ કાર્યક્રમો યોજીને વીડિયો કોન્ફરન્સથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ સાથે વડોદરાથી કેવડિયા વચ્ચે ટ્રેન શરૂ કરાશે. દેશના વિવિધ સ્થળોએથી કેવડિયા પહોંચવા 8 જેટલી ટ્રેનોને પણ લીલી ઝંડી અપાશે. 18મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીના મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું તેમજ સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સથી કરશે.
20મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાત સરકારના ડિજીટલ સેવાસેતુ કાર્યક્રમના બીજા તબક્કાનું લોંચિંગ કરશે. રાજ્યના 8 હજાર ગામડામાં 50 જેટલી ઓનલાઇન સેવાનો પ્રારંભ કરાશે. ગ્રામ્ય વિસ્તારોને ઇ-સેવા સાથે જોડવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે.