909 Total Views
– ‘આ વાયરસ જીવને સેન્ટ્રલ વિસ્ટામાં આશ્રય મળવો જોઈએ.’
નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર
કોરોનાના સંકટ વચ્ચે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું છે. ત્રિવેન્દ્ર સિંહે ગુરૂવારે કોરોના વાયરસ એક જીવિત જીવ છે, જેને જીવવાનો અધિકાર છે તેવું નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયામાં ત્રિવેન્દ્ર સિંહનું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
હકીકતે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતું કે, ‘દાર્શનિક દૃષ્ટિકોણથી જોઈએ તો કોરોના વાયરસ પણ એક જીવિત જીવ છે, બાકીના લોકોની જેમ તેને પણ જીવવાનો અધિકાર છે, પરંતુ આપણે (મનુષ્ય) પોતાની જાતને સૌથી બુદ્ધિમાન સમજીએ છીએ અને તેને ખતમ કરવા તૈયાર છીએ, આ કારણે જ તે સતત પોતાને બદલી રહ્યો છે.’
જો કે, પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મનુષ્યને સુરક્ષિત રહેવા માટે વાયરસથી આગળ નીકળવાની જરૂર છે તેમ પણ કહ્યું હતું. આ નિવેદનને લઈને પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસી નેતા ગૌરવ પંધીએ કહ્યું કે, આવા લોકોના નિવેદનોથી આ આશ્ચર્યની વાત ન ગણાવી જોઈએ કે આપણો દેશ આજે વિશ્વમાં સૌથી વધારે માનવીય ત્રાસદી સહન કરી રહ્યો છે. અન્ય એક ટ્વીટર યુઝરે ત્રિવેન્દ્ર સિંહના નિવેદનની ટીખળ કરતા લખ્યું હતું કે, ‘આ વાયરસ જીવને સેન્ટ્રલ વિસ્ટામાં આશ્રય અપાવો જોઈએ.’
રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે લખ્યું હતું કે, ‘કોરોના એક પ્રાણી છે- પૂર્વ CM અને BJP નેતા ત્રિવેન્દ્ર સિંહ રાવત’, પછી તો તેનું આધાર કાર્ડ/રાશન કાર્ડ પણ હશે?’