980 Total Views
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને છાતીમાં તીવ્ર દુખાવો થવાના કારણે જયપુરના એસએમએસ હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. સાથે જ તેમણે કહ્યુ કે એસએમએસ હોસ્પિટલમાં જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. ડૉક્ટર સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. સીએમ ગેહલોતની તબિયત ખરાબ થવાની માહિતી મળતા જ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા પણ એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા છે.
મુખ્યમંત્રી ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું કે, “મને કોવિડથી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ગઈકાલથી, મને મારી છાતીમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો, ત્યારબાદ આજે મેં એસએમએસ હોસ્પિટલમાં મારું સીટી-એન્જીયો કરાવ્યું. અહીંના ડોકટરો દ્વારા મારી એન્જીયોપ્લાસ્ટી કરાશે. મને આનંદ છે કે મારી એસએમએસ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. હું ઠીક છું અને જલ્દી પાછો આવીશ. આપ સૌ ની પ્રાર્થના અને આશીર્વાદ મારી સાથે છે. ”
ગેહલોત કોવિડ પછીની સમસ્યાઓ સામે લડી રહ્યા છે
મુખ્યમંત્રી અશોક ગેહલોત કોવિડ પછીની સમસ્યાઓ સામે લડી રહ્યા છે. મુખ્યમંત્રીએ તેમના વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં પણ આ વાત ઘણી વખત કહી છે. આ કારણે, ગેહલોત જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લઈ રહ્યા નથી. મુખ્યમંત્રી અશોક ગેહલોત ગઈ કાલે રાત્રે દિલ્હીની મુલાકાતે આવવાના હતા. પરંતુ રાત્રે નાદુરસ્ત તબિયતને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જે બાદ આજે સવારે CM મેડિકલ ચેકઅપ માટે SMS હોસ્પિટલ ગયા.