867 Total Views
જમ્મ-કાશ્મીરમાં સુરક્ષાદળોનાં ઓપરેશન ઓલઆઉટને ભારે સફળતા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કાશ્મીરના શોપિયાં અને પમ્પોરમાં ૮ આતંકીઓનો સફાયો કરાયો છે. સુરક્ષાદળો અને કાશ્મીર પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં શોપિયાંમાં ૫ અને અવંતીપોરાનાં પમ્પોરમાં ૩ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૦૨ આતંકીઓને ખાતમો બોલાવાયો છે. બે આતંકીઓ સુરક્ષાદળોથી બચવા મસ્જિદમાં છુપાઈ ગયા હતા તેમને શુક્રવારે સવારે ઠાર કરાયા છે.
૧૫૦ દિવસમાં ૧૦૨ આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા
કાશ્મીરનાં સુરક્ષાદળોની ત્રાસવાદ સામેની ઝુંબેશમાં ૧૫૦ દિવસમાં ૧૦૨ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ મહિનામાં અલગ અલગ મૂઠભેડમાં ૩૫ જેટલા આતંકીઓનો સફાયો કરાયો છે. આમાં ૪૯ યુવાન આતંકીઓ તો થોડા સમય પહેલાં જ ઘરબાર છોડીને આતંકી સંગઠનોમાં જોડાયા હતા તેમાંથી ૨૭ને ઠાર કરાયા છે.
શોપિયાંના બંદપાવા વિસ્તારમાં બનેલી ઘટના
શોપિયાંનાં બંદપાવા વિસ્તારમાં ગુરુવારથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી હતી જેમાં શુક્રવારે સવારે પાંચમા આતંકીને ઠાર કરાયો હતો. સુરક્ષાદળોેએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં હજી ઘણા આતંકી છુપાયેલા હોવાની શંકાથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શોપિયાંમાં ૪ આતંકીઓનાં મૃતદેહો મળ્યા હતા પાંચમા આતંકીની બોડીની શોધ ચલાવાઈ રહી છે. કેટલાક આતંકીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની જાણ થયા પછી પોલીસ, આર્મી અને સીઆરપીએફ દ્વારા સંયુક્તપણે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ મહિનામાં આશરે ૩૫થી વધુ આતંકીઓને ઠાર કરાયા
જમ્મુ-કાશ્મીર પોલીસનાં ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે શોપિયાં ઉપરાંત મેજ પમ્પોર ખાતે ૩ આતંકીઓનો સફાયો કરાયો હતો. અહીં મસ્જિદમાં ઘૂસેલા બે આતંકીઓને ઠાર કરાયા હતા. મસ્જિદને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખીને આખી કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ટિયરગેસનો જ ઉપયોગ કરાયો હતો. માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદનાં હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયા હોવાની શંકાને આધારે સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે. આ મહિનામાં સુરક્ષાદળોએ આશરે ૩૫થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે.